એકાદશીએ સવારથી સાંજ સુધીમાં હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો.
વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે રવિવારે દેવશયની એકાદશીના શુભ દિને મંદિરના ઐતિહાસિક સભામંડપમાં ૧૨ કલાકની અખંડ ધૂન રાખવામાં આવી હતી.
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં દેવશયની (દેવપોઢી) એકાદશીનું અનેરૂ મહાત્મય છે.સાથે સાથે આજથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને ચાતુર્માસ માં વિશેષ નિયમ ધારવાની આજ્ઞા કરી છે.જેમ કે જનમંગલના પાઠ કરવા,વંદુના પાઠ, ઓરડાના પાઠ કરવા,વચનામૃત-શિક્ષાપત્રી અને ભક્તચિંતામણીનું પઠન કરવું. દેવશયની એકાદશીના શુભદિને વડતાલ સ્વામિનારાયણ મંદિરના ઐતિહાસિક સભામંડપમાં ૧૨ કલાકની અખંડ ધૂન રાખવામાં આવી હતી જેનો વડતાલ મંદિરના કોઠારી દેવપ્રકાશસ્વામી તથા પૂ.ગોવિંદસ્વામી (મેતપુર વાળા) દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો કે.પી. સ્વામી શ્રી વલ્લભ સ્વામી પા.ઘનશ્યામભગત માજી ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા.આ ધૂનમાં સંતો પાર્ષદો અને બ્રહ્મચારીના સાનિધ્યમાં વડતાલની આજુબાજુના ૫૦ ગામોના એક હજારથી વધુ પુરૂષ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જયારે સાંખ્યોગી માતાઓના સાનિધ્યમાં ૧૫૦૦ થી વધુ મહિલા ભક્તોએ લાભ લીધો હતો. ધૂનના યજમાન અશોકભાઈ પટેલ (જોળ)નું કોઠારી દેવ સ્વામીએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેવપોઢી અને દેવ ઉઠી અગિયારસનું વિશેષ મહત્વ રહ્યું છે.ચાતુર્માસ દરમ્યાન ગુરૂપૂર્ણિમા, હિંડોળા ઉત્સવ ,નાગ પાંચમ, શીતળાસાતમ, જન્માષ્ટમી, રક્ષાબંધન,જલઝીણી એકાદશી,શ્રાધપર્વ,નવરાત્રી,દશેરા,શરદ પૂર્ણિમા,દિવાળી,નુતન વર્ષ અને લાભપાંચમ વગેરે ઉત્સવો આવે છે.
ચાતુર્માસ અંગે વિશેષ માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે દેવપોઢી એકાદશીના સુભ દિને ભગવાન શ્રી હરિ (વિષ્ણુ) સ્તરસાગરમાં પોઢી જાય છે.જયારે ભાદરવા સુદ એકાદશીના દિનને પરિવર્તનની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન પડખુ ફેરવે છે.અને કારતક સુદ એકાદશી એટલે દેવ ઉઠી એકાદશીએ ભગવાન જાગે છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લ્ભ સ્વામીએ કર્યું હતું.